ઘોઘંબામાં ત્રણ બાળકીનાં મોત: બકરી ચરાવવા ગયેલી બાળકીઓને તરસ લાગતા પાણી પીવા માટે ખાડામાં ઉતરી હતી, પગ લપસતા સર્જાઈ દુર્ઘટના
- 12 Jun, 2024
વડોદરા નજીક ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં ડૂબી જવાને કારણે ત્રણ બાળકીનાં કરૂણ મોત નીપજ્યાં છે. આ ત્રણેવ બાળકીઓ મંગળવારે બકરીઓને ચરાવવા માટે ગઇ હતી. આ ત્રણ પૈકી એકને તરસ લાગતા તે ખાડામાં પાણી પીવા માટે ગઇ હતી. જોકે પાણી પીવા જતા તેનો પગ લપસતાં તે ખાડામાં પડી ગઇ હતી. આ એક બાળકીને બચાવવા માટે જતા અન્ય બે બાળકીઓ પણ ખાડામાં પડી હતી. જે બાદ આ ત્રણેવ બાળકીઓના ડૂબી જવાને કારણે મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બાળકો ડૂબી જવાની ઘટનાઓમાં વધારો થયો છે.
ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં એક જ ફળિયામાં રહેતી અને એક જ કુટુંબની ત્રણ માસૂમ બાળકીઓના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. આ ત્રણ બાળકીઓ બકરી ચરાવવા માટે ગઇ હતી. જે દરમિયાન એક બાળકીને તરસ લાગતા તે કોતરોમાં બનાવેલા ખાડામાં પાણી પીવા માટે ગઇ હતી. આ બાળકીનો પાણી ભરેલા ખાડામાં લપસી જતાં અન્ય બે કિશોરી બચાવવા જતાં ત્રણેયના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યાં છે.
ત્રણ બાળકી પૈકી એકની ઉંમર પાંચ વર્ષની અને બે બાળકીઓની ઉંમર 12 વર્ષની છે. એક જ પરિવારની ત્રણ બાળકીના સાથે મોત થતા આખા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. થોડા દિવસ પહેલા ભાવનગરમાં પણ આવી જ એક દુર્ઘટના બની હતી. સિદસરમાં ચાર બાળકીઓના ડૂબી જતા મોત થયા હતા. બોરતળાવમાં નાહ્વા પડેલી પાંચ બાળકીઓ ડૂબી હતી. જેમાં 5 બાળકીઓમાં એકનો બચાવ થયો હતો. જ્યારે અન્ય 4ના મોત થયા હતા. બચાવાયેલી બાળકીને સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી.